ફોટો ગેલેરી માં જવા માટે ફોટો પર ક્લિક કરો
ખડાયતાના કુળદેવતા
:શ્રી કોટયર્ક ઇષ્ટદેવ:
કોટયર્ક એટલે કરોડો સૂર્યનો પ્રકાશ (તેજપુંજ)
કોટયર્ક ભગવાન એટલે કરોડો સૂર્યના કિરણો વડે સૂર્યનું સ્વરૂપ ધારણ કરનાર શ્રી વિષ્ણુ ભગવાન. મધુ અને કેટભ નામના બે રાક્ષસો જયારે બ્રમ્હાજીને હેરાન કરતા હતા, ત્યારે તેઓ શેષ સોયા પર બિરાજમાન વિષ્ણુ ભગવાન પાસે જઈ રાક્ષસોના ત્રાસમાંથી મુક્ત કરવા વિનંતી કરી. તે દિવસ હતો કારતક સુદ અગિયારસ. વિષ્ણુ ભગવાન શેષ સોયા પર સુતેલા હતા અને તેમને જગાડ્યા. તેથી તે દિવસ દેવઊઠી અગિયારસ ગણાય છે. કારતક સુદ બારસને દિવસે વિષ્ણુ ભગવાને કરોડો સૂર્યના કિરણો જેવું તેજસ્વી સૂર્યનું સ્વરૂપ ધારણ કરી આ બે રાક્ષસોનો સંહાર કર્યો અને બ્રમ્હાજીને ત્રાસમાંથી મુક્ત કર્યા. તેથી ખડાયતા જ્ઞાતિના વૈષ્ણવો આ તિથીને કોટયર્ક પ્રભુના પ્રગટ્ય દિન તરીકે ઉજવે છે. કોટયર્ક પ્રભુનું ચતુર્ભુજ સ્વરૂપ છે. એક એક હાથમાં શંખ, ચક્ર, ગડા, તથા પજ્ઞ (કમળ) જેવા આયુધો ધારણ કરેલા છે.
આ આયુધોમાં…
(૧) કમળ : ભક્તોના તપનું નિવારણ કરી ભક્તને શીતળતા બક્ષે છે.
(૨) સુદર્શન ચક્ર : ભક્તોની રક્ષા કરવા માટે છે.
(૩) ગદા : દુષ્ટોનાં સંહાર કરવા માટે છે.
(૪) શંખ : દુશ્મનોમાં ભય પેદા કરવા માટે છે.
આ ચારે આયુધોનું તત્વના આધારે તથા પુષ્ટિમાર્ગીમાં તેઓનો જે ભાવ છે. તે નીચે મુજબ છે.
| તત્વને આધારે | પુષ્ટિમાર્ગમાં ભાવ |
(૧) શંખ |
જળ તત્વ |
યમુનાજીનું સ્વરૂપ છે. |
(૨) સુદર્શન |
તેજ તત્વ |
ચંદ્રાવલીજીનો ભાવ છે. |
(૩) કમળ |
પૃથ્વી તત્વ |
રાધિકાજીનો ભાવ |
(૪) ગદા |
વાયુ તત્વ |
કુમારિકાના ભાવનું સ્વરૂપ છે. |
આમ કોટિ સૂર્યના અર્ક થાકી સૂર્ય સ્વરૂપ વિષ્ણુ ભગવાન કોટયર્ક દેવ તરીકે ઓળખાયા. બ્રમ્હાજી એજ આ સ્વરૂપ નું જ્યાં પ્રગટ્ય થયું હતું તે ખડાત ગામના સાબરમતી – હાથમતી નદીના સંગમ પાસે હાલના જુના મંદિરના સંકૂલ પર તેમની પ્રતિમા બનવી પૂજન કરી તેની પ્રાણ – પ્રતિષ્ઠા કરી મંદિર બંધાવ્યું. ખડાત ગામના વણિકૉ ખડાયતા તરીકે ઓળખાયા અને કોટયર્ક પ્રભુ તેમના ઇષ્ટદેવ તરીકે પૂજાય છે.
હાલ જુનું મંદિર જર્જરિત થઈ જવાથી મહુડી ગામમાં જે કોટયર્ક ધામ તરીકે પણ પ્રખ્યાત છે. ત્યાં નવું મંદિર બનાવી કોટયર્ક પ્રભુના એ સુંદર સ્વરૂપની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. આ મંદિરમાં ખાડાયતા ગોત્ર દેવીઓનું સ્થાપન પણ કરવામાં આવ્યું છે અને મંદિરના પુજારી દ્વારા સુંદર શણગાર\, આભૂષણો ધરાવી, ભાવપૂર્વક સ્વરૂપના દરેક સમાન દર્શન કરાવવામાં આવે છે.
ત્યાં રહેવાની તથા જમવાની સુંદર સગવડો છે અને ખડાયતા બંધુઓ વાર – તહેવારે ત્યાં એકત્રિત થઈ પ્રભુના દર્શનનો, સેવાનો, આનંદ પ્રાપ્ત કરે છે.